ભારતમાં યોજાનારા ICC ODI વર્લ્ડ કપને લઈને હજુ પણ હોબાળો ચાલી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ પણ ODI વર્લ્ડ કપ માટે તેની ટીમને ભારત મોકલવા અંગે આશંકિત છે પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને વિશ્વાસ છે કે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ ભારતમાં 50 ઓવરનો વર્લ્ડ કપ રમશે.
આ સાથે પીસીબીની ચેન્નાઈ અને બેંગલુરુમાં કેટલીક ટીમો સામે પાકિસ્તાનની મેચ યોજવાની વિનંતી પણ ઠુકરાવી દેવામાં આવી હતી. PCB ચેન્નાઈની ટર્નિંગ પિચ પર અફઘાનિસ્તાન અને બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયાને રમવા માંગતું નથી.
વર્લ્ડ કપ શેડ્યૂલની જાહેરાત બાદ પીસીબીએ સ્પષ્ટ કહ્યું કે તેનું રમવાનું સરકારની મંજૂરી મેળવવા પર નિર્ભર છે. PCBના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમારું વર્લ્ડ કપ રમવું અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમવું કે મુંબઈમાં જો અમે સેમિફાઇનલમાં પહોંચીએ તો તે સરકારની મંજૂરી પર નિર્ભર છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતે વર્લ્ડ કપમાં તેની ટીમ રમવા અંગે શંકા વ્યક્ત કરી છે પરંતુ ICCના પ્રવક્તાએ કહ્યું, તમામ સભ્યોએ તેમના દેશના કાયદાનું પાલન કરવું પડશે અને અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ અમને ખાતરી છે કે પાકિસ્તાની ટીમ ODI વર્લ્ડ કપ રમવા ભારત આવશે.પાકિસ્તાન છેલ્લે 2016 T20 વર્લ્ડ કપમાં ભારતમાં રમ્યું હતું. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે બંને ટીમો ફક્ત ICC ટુર્નામેન્ટ અથવા એશિયા કપમાં જ એકબીજા સાથે રમે છે. સામાન્ય રીતે સુરક્ષાના જોખમોને કારણે BCCI દ્વારા બે મેચો ખસેડવાની પાકિસ્તાનની વિનંતીને ઠુકરાવી દેવામાં આવશે તે લગભગ નિશ્ચિત હતું.