અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપોરજોય’ હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જખૌમાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનથી પોર્ટ વિસ્તારમાં વીજ પોલ ધરાશાયી થયા છે. જખૌ અને નલિયાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ‘બિપરજોય’ વાવાઝોડું આજે સાંજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. જેથી હાલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વચ્ચે હવે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
આપને જણાવી દઈએ કે, ગુજરાત પર વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. બિપોજોય વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોચ્યું છે. આ વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર દરિયામાં છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. વાવાઝોડું હાલ પ્રતિકલાક 6 કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે. જ્યારે વાવાઝોડુ ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.