ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ શુક્રવારે માહિતી આપી છે કે ચંદ્રયાન-3એ અત્યાર સુધીમાં બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે અને શનિવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે અને તેનું 100% પરિણામ અપેક્ષિત છે, કારણ કે ઈસરોના વૈજ્ઞાનિકોએ અગાઉ પણ આ સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાન-3 હાલમાં લગભગ 37,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને આજે સાંજે આશરે 7:00 કલાકે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ સમયે, ચંદ્રયાન-3 ચંદ્રથી લગભગ 40,000 કિલોમીટર દૂર હશે અને આ સમયે ચંદ્રની ગુરુત્વાકર્ષણ શક્તિની અસર પણ શરૂ થાય છે. જણાવી દઈએ કે ચંદ્રયાન-3ને 14 જુલાઈએ ચંદ્ર તરફ મોકલવામાં આવ્યું હતું.
ઈસરોના જણાવ્યા અનુસાર જ્યારથી ચંદ્રયાન-3 લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અત્યાર સુધી ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં કુલ 5 વખત ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ઓગસ્ટના રોજ સ્લિંગશૉટ પછી, તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું અને હવે 5 ઓગસ્ટે સાંજે 7 વાગ્યે, ચંદ્રયાન-3 ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવામાં આવશે જ્યારે તેની ઈચ્છિત ભ્રમણકક્ષા ચંદ્રની સૌથી નજીક હશે.
જાણો શું છે Lunar Orbit Injection
આ પ્રક્રિયાને Lunar Orbit Injection (LOI) કહેવાય છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા પછી, ચંદ્રયાન-3 આગામી થોડા દિવસો સુધી ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરશે અને ધીમે ધીમે ફેરફારો કરીને ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં પહોંચશે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડ થઈ શકે છે . જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીને જ પોતાના લેન્ડર્સને ચંદ્રની સપાટી પર ઉતાર્યા છે. આ વખતે સફળ લેન્ડિંગ બાદ ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.
લેન્ડર અને પ્રોપલ્શન મોડેલ ક્યારે અલગ હશે?
5 ઓગસ્ટથી 17 ઓગસ્ટ વચ્ચે ચંદ્રયાન-3 ચંદ્રની કક્ષામાં ધીરે ધીરે આગળ વધશે અને ચંદ્રની સપાટીની નજીક જવાની કોશિશ કરશે. 17 ઓગસ્ટે ચંદ્રયાન-3 લગભગ 100 કિમીની કક્ષામાં આવશે. તે જ દિવસે પ્રોપલ્શન મોડેલ અને લેન્ડર મોડેલ એક બીજાને અડીને હશે. આ પછી 18થી 20 ઓગસ્ટ સુધી લેન્ડર મોડલ પોતાની સ્પીડમાં ઘટાડો કરશે અને ડી ઓર્બિટ કરવાનો પ્રયાસ કરશે. આ પછી ચંદ્રયાન-3 100×30 કિમીની કક્ષામાં પહોંચી જશે. જો ચંદ્રયાન-3 આ તમામ સ્તરને પાર કરી લે છે તો 23 ઓગસ્ટે સાંજે 5:45 વાગ્યે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની કોશિશ કરશે.જો સોફ્ટ લેન્ડિંગ સફળ થાય છે, એટલે કે જો મિશન સફળ રહે છે, તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે.
યુએસ અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલા અનેક અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગે-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે. નોંધનીય છે કે, લોન્ચિંગ ખર્ચ વિના ચંદ્રયાન-3નું બજેટ લગભગ રૂ. 615 કરોડ છે, જ્યારે તાજેતરની ફિલ્મ આદિપુરુષનું બજેટ રૂ. 700 કરોડ હતું. એટલે કે ચંદ્રયાન-3 આ ફિલ્મની કિંમત કરતાં લગભગ 85 કરોડ રૂપિયા સસ્તી છે. આના 4 વર્ષ પહેલા મોકલવામાં આવેલ ચંદ્રયાન 2 ની કિંમત પણ 603 કરોડ રૂપિયા હતી. તેના લોન્ચિંગ પર 375 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.