અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આજે વહેલી સવારે ઉત્તમનગરના સ્લમ ક્વાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતા. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ઉત્તમનગર વિસ્તારમાં 60 વર્ષ જૂના સ્લમ કવાટર્સ આવેલા છે. આ ક્વાટર્સમાં કુલ 8 જેટલા બ્લોક અને 256 જેટલા મકાનો આવેલા છે. ત્યારે આજે સવારે 7 વાગ્યાની આસપાસ આ ક્વાટર્સના ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડ્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. તો પોલીસની ટીમ પણ સ્લમ કવાટર્સ ખાતે દોડી આવી હતી.
જે બાદ તાત્કાલિક ફાયરની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમો દ્વારા કાટમાળમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 8 બાળકો સહિત કુલ 30 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. ઘટના બન્યા બાદ ધરાશાયી થયેલા કાટમાળનો ભાગ હટાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.
મણિનગર વિસ્તારમાં આવેલા આ ક્વાટર્સ લગભગ 60 વર્ષ જેટલા જૂના છે. આ મકાનો ખૂબ જ જૂના હોવાના કારણે AMC દ્વારા અનેકવાર આ મકાનોને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. છતાં આ આવાસ તોડી પાડવામાં આવ્યા નથી. જોકે, અંતે આજે આ દુર્ઘટના ઘટી છે. તો બીજુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ મોતની ઇમારતો આવેલી છે. આવી ઇમારતોમાં જીવના જોખમે લોકો રહી રહ્યા છે. બીજી વ્યવસ્થા ન હોવાથી લોકો જર્જરિત ઇમારતોમાં રહેવા મજબુર બન્યા છે.