ભારતે ચંદ્રયાનને સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતાર્યા બાદ આખી દુનિયા ભારતની વાહવાહી કરી રહી છે અને તેમાં મોડે મોડે પણ પાકિસ્તાન જોડાયુ છે.
મૂન મિશન સફળ થયાના બે દિવસ બાદ પાકિસ્તાને ભારત અને ઈસરોના વખાણ કર્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ઈસરોના વૈજ્ઞાનિકોની આ બહુ મોટી ઉપલબ્ધિ છે અને તેના માટે તેઓ અભિનંદનના હકદાર છે.
વિદેશ મંત્રાલયે ભારતને અભિનંદન આપતો મેસેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જે ભારતમાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ત્રણ લાઈનના અભિનંદન આપતા મેસેજ સિવાય પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા બીજી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચુકેલા ફવાદ ચૌધરીએ તો ચંદ્રયાન લેન્ડ થયુ તે જ દિવસે ભારતને અભિનંદન આપીને કહ્યુ હતુ કે, ભારત માટે આ ગૌરવની ક્ષણ છે. આ એજ ફવાદ ચૌધરી છે જેમણે ચંદ્રયાન-2 ક્રેશ થયુ હતુ ત્યારે ભારતની મજાક ઉડાવી હતી. પણ સફળતા આગળ દુનિયા માથુ ઝુકાવતી હોય છે અને ફવાદ ચૌધરી હવે ભારતની સિધ્ધિના ભરપૂર વખાણ કરી રહ્યા છે.