નવ, પુરાતન કાળથી ધર્મની ગૂઢ સંખ્યા છે, એવી પાશ્ચાત્ય પ્રજાની માન્યતા છે. હિંદુ ધર્મમાં પણ ‘નવ’ નું મહત્ત્વ છે. ‘નવ’ બધા જ અંકોનું ઉત્પત્તિસ્થાન છે. ‘નવ’ની વિશેષતા એ છે કે એની સાથે કોઈ પણ રકમનો સરવાળો કરો કે ગુણાકાર જે રકમ આવે તેનો અંતિમ સરવાળો નવ જ થાય છે.
૯ માત્ર ૯ સુધી મર્યાદિત નથી. એના ઘણા શાબ્દિક અર્થોમાંના કેટલાક આ પ્રમાણે છે.
નવ :- નવું, ઉશીનર રાજાનો એ નામનો કુંવર, બિકાનેરના તાઝીમી પટ્ટેદારો દ્વારા ખેડૂતો પાસેથી ઉઘરાવાતો કર, એ જાતની વનસ્પતિ, સાટોડી, કાચું, જાત, રીત, વખાણ, સ્તુતિ, સ્તોત્ર, સ્તવ, મરનારના પ્રથમ દિવસથી આરંભીને દશ દિવસ સુધીનું વિહિત શ્રાદ્ધ, નહીં, નકાર દર્શાવનાર શબ્દ, કેટલાક, અમુક, જુવાન, તરુણ, તાજું, નવની સંખ્યા, નવીન, તરતનું, સુંદર, રૂપાળું વગેરે..
‘૯’નું મહત્ત્વ હિંદુ ધર્મમાં વધારે છે. નવરાત્રિ જેમાં નવ રાત સુધી અંબામાતાનું સ્તવન, ગરબા ગવાય છે. નવદુર્ગા ને નવ કુમારિકાનું પૂજન થાય છે. નવરાત્રિથી દેવદિવાળી સુધી નવ તહેવારો આવે છે.
નાટકમાં નવ રસ(શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, ભયાનક, રૌદ્ર, બીભત્સ, અદ્ભૂત અને શાંત) નવ ભાવ( રતિ, હાસ, શોક, ઉત્સાહ, ભય, ક્રોધ, જુગુપ્સા, વિસ્મય, શમ) અને નવ સાત્વિક ભાવ(સ્તંભ, અશ્રુ, સ્વેદ, રોમાંચ, વેપથુ, સ્વર-ભંગ, કંપ, વિવર્ણતા, પ્રલય, છે.
નવધા-ભક્તિ માં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મ નિવેદન, પુરાતન માન્યતા પ્રમાણે મહાપદ્મ, પદ્મશંખ, મકર, નવનિધ એ નવ પ્રકારની સાધન ભક્તિ છે. અને જૈન ધર્મના નવકારમાં જે પદો છે એ નવ લીટીમાં લખાયેલા છે.
શરીરનાં નવ દ્વાર છે. મુખ, બે આંખ, બે નસકોરાં, બે કાન, મૂત્ર દ્વાર, ગુદા. પૌરાણિક ભૂગોળ પ્રમાણે ઇલાવૃત્ત, ભદ્રાશ્વ, હરિવર્ષ, કિંપુરુષ, કેતુમાલ, રમ્યક, ભારત, હિરણ્યમય, ઉત્તરકુરુ, એવા પૃથ્વીના નવ વિશાળ ભૂ-ભાગ છે વળી નવ ગ્રહ છે, નવ ખંડ છે, નદીઓ પણ ૯૯૯ કહેવાય છે.
આ તો પાશેરા પહેલી પૂણી જેટલી માહિતી છે. નવ પરથી બધા આંકડા નીકળ્યા છે. નવમા આંકડા જેવી મિત્રતા રાખવી એમ અનેક ઠેકાણે લખ્યું છે. ૯ × ૨ = ૧૮(૧ + ૮ = ૯) ૯ × ૩ = ૨૭(૨ + ૮ = ૯) એ પ્રમાણે આખા આંકમાં ૯નો આંકડો ફરતો નથી તેમ સજ્જન મિત્ર પણ વિચારમાં ફરતો નથી.