કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આજે કોંગ્રેસના ‘ભારત જોડો’ અભિયાન ઉપર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમની સાથે આ અભિયાનમાં કોઈ નહી ચાલે તો પણ તેઓ રોકાશે નહીં. રાહુલે કહ્યું હતું કે, મારી સાથે કોઈ ચાલે કે ન ચાલે, હું એકલો ચાલીશ.
દિલ્હીમાં કોન્સ્ટિટયુશન ક્લબ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રમાણે, ત્યાં આર્થિક-સામાજીક મુદ્દાઓ અને આગામી ‘ભારત જોડો’ યાત્રાની સાથે સામાજીક સંગઠનોને જોડવાની બાબત ઉપર ચર્ચા થઈ હતી.
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેશની રાજનીતિ પોલોરાઈઝ થઈ ગઈ છે. અમે અમારી યાત્રામાં બતાવીશું કે કેવી રીતે એક બાજુ સંઘની વિચારધારા છે અને બીજી તરફ અમારા લોકોની સૌને સાથે જોડવાની વિચારધારા છે.
રાહુલે કહ્યું હતું કે, અમે એ વિશ્વાસના આધારે યાત્રા શરૂ કરી રહ્યા છીએ કે ભારતના લોકો તોડવાની નહીં જોડવાની રાજનીતિ ઈચ્છે છે. નફરત કરવાવાળાઓ અને દેશમાં વિભાજન ફેલાવનારાઓ સિવાય ‘ભારત જોડો’ યાત્રામાં દરેકનું સ્વાગત છે.
રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન આશરે 150 સિવિલ સોસાયટી સંગઠનોએ કોંગ્રેસની ‘ભારત જોડો’ યાત્રાને સમર્થન આપવાની જાહેરત કરી હતી. સિવિલ સોસાયટી સંગઠનોએ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, 5 મહિના સુધી ચાલનારી આ યાત્રા માટે કોંગ્રેસે અમારી પાસે સમર્થન માંગ્યું છે. આજે કોન્કવેલમાં ભારતના આશરે 150 સિવિલ સોસાયટી સંગઠનોએ ભાગ લીધો હતો. સૌએ ‘ભારત જોડો’ યાત્રાની સાથે એકજૂથ થવાનું નક્કી કર્યું છે.
શું છે કોંગ્રેસનું ‘ભારત જોડો’ અભિયાન?
કોંગ્રેસે કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીર સુધી ‘ભારત જોડો’ અભિયાન શરૂ કરવાની વાત કરી છે. આ યાત્રા 7 નવેમ્બરથી શરૂ થવાની છે. કોંગ્રેસના અનુસાર ‘ભારત જોડો’ યાત્રા લગભગ 12 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી આશરે 3500 km સુધીનું અંતર કાપશે. આ તમામ અંતર પદગાળા યાત્રા સ્વરૂપે કાપવામાં આવશે. આ પદયાત્રામાં કોંગ્રેસ પક્ષનું સમગ્ર નેતૃત્વ અને કાર્યકરો ભાગ લેશે.
કહેવામાં આવ્યું છે કે, આ યાત્રા નફરત, કટ્ટરવાદ, અને ધ્રુવીકરણની રાજનીતિ સામે લડવા માટે સમર્પિત તમામ ભારતીયોને એક કરવા માટેનું એક રાષ્ટ્રવ્યાપી આંદોલન છે.