દ્વારકા વરસાદ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વિગતો મુજબ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દ્રારકા જિલ્લામાં નોંધાયો છે. દ્રારકામાં 9.1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ આજે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્રારકામાં 9.1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે પોરબંદરમાં 6.4 ઇંચ અને કેશોદમાં 6.1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ખંભાળીયા, માણાવદરમાં 5 ઇંચ, માંગરોળ, અબડામાં 5 ઇંચ વરસાદ, જામકંડોરણા, ધ્રોલ, જામજોધપુરમાં પોણાં પાંચ ઇંચ, કલ્યાણપુર, મહુવા, ધોલેરા, વંથલીમાં, ઉપલેટામાં 4 ઇંચ, અમરેલી, કોટડા સાંગાણી 3.5 ઇંચ, ભચાઉ, ધોરાજી, ખંભાત, ગોંડલ, માળીયા હાટીના 3 ઇંચ અને મેંદરડા, સિંહોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ આગામી 4 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ રહેશે. ખાસ કરીને હજુ પણ સૌરાષ્ટ્રને મેઘો ઘમરોળશે, જેમાં જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગરમાં સૌથી વધુ વરસાદ ખાબકશે તેવી આગાહી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ. આપને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાય ચૂક્યો છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. સાથે જ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.